મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૧૪ જિલ્લાના આદિજાતિ બાંધવોને વાંસ આધારિત રોજગારી આપી આત્મનિર્ભર બનાવવાની નવતર પહેલના ભાગરૂપે, અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિજાતિ બેલ્ટના વનબંધુઓને રૂ. ર૦ કરોડના ૪ર લાખ વાંસના વિનામૂલ્યે વિતરણનો ડેડીયાપાડાથી પ્રારંભ કરાવ્યો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ‘ગ્રીન ગોલ્ડ’ એવા વાંસના ઉછેર અને વાંસ-ઉદ્યોગની ઇકોસિસ્ટમ ઉભી કરવાની ગુજરાતે દિશા લીધી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વાંસને વૃક્ષ ગણવાના ૯૦ વર્ષ જૂના કાયદાને દૂર કરીને આદિજાતિઓના સર્વગ્રાહી વિકાસના નવા દ્વાર ખોલી આપ્યા છે જેને પગલે દેશના અનેક રાજ્યોમાં ‘બામ્બુ ઇન્ડસ્ટ્રી’- વાંસ આધારિત ઉદ્યોગોનો વિકાસ થઇ રહ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ આદિજાતિ યુવાનોના કૌશલ્યને પદ્ધતિસર અને સમયાનુકુલ નિખાર આપવા પ્રધાનમંત્રી કૌશલ્યવર્ધન યોજના અન્વયે આદિજાતિ વિસ્તારોમાં વાંસ આધારિત ૪ કૌશલ્યવર્ધન કેન્દ્રોના લોકાર્પણ પણ કર્યા હતાં.ડેડીયાપાડા, નેત્રંગ, વધઇ અને કેવડી ખાતે અંદાજે બે કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રોના લોકાર્પણ કરતાં તેમણે કહ્યું કે, આદિજાતિ વિસ્તારોમાં આ કેન્દ્રો ‘‘વોકલ ફોર લોકલ’’નો ધ્યેય પાર પાડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વનબંધુઓ-આદિજાતિઓના સર્વાંગી ઉત્કર્ષ માટે સરકારની પ્રતિબદ્ધતા આ બહુવિધ વિકાસ આજના સમારોહથી સાકાર થઇ છે, એમ તેમણે ઉમર્યું હતું.