રાજ્ય સરકાર આવતીકાલે નિર્ણય જાહેર કરશે, ગુજરાતમાં ફટાકડા ફોડી શકાશે કે નહીં?

ગુજરાત:દિવાળીના તહેવારને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ફટાકડા ફોડવા બાબતે પ્રતિબંધ લગાવે તેવી શક્યતાઓ છે. આ મામલે આવતીકાલ સુધીમાં રાજ્ય સરકાર નિર્ણય લઈ અને જાહેરાત કરશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દિવાળીના તહેવારો પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાના મૂડમાં નથી, કારણ કે દિવાળી સાથે ગુજરાતી નવું વર્ષ આવે છે તથા આઠ મહિના લાંબા લોકડાઉનથી કંટાળેલા લોકોના જીવનમાં દિવાળીના પર્વ દરમિયાન આનંદ અને ઉલ્લાસનો પ્રકાશ ફેલાય એ માટે સરકાર આ પ્રતિબંધ ઇચ્છતી નથી.

ગુજરાતના કેટલાક શહેરોને ગ્રીન ટ્રિબ્યુનલે નોટિસ ફટકારી

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દેશના કેટલાક રાજ્યોને હવામાં વધુ પડતા પ્રદૂષણ મામલે નોટિસ ફટકારી છે. જેમાં ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોનો સમાવેશ થાય છએ. આવા પ્રદૂષિત શહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાય તેવી શક્યતા છે. આ નિર્ણય કોરોનાની સ્થિતિ અને હવા પ્રદૂષણને આધારે લેવામાં આવશે. મુખ્યમંત્રી પણ ઇચ્છે છે કે લોકો ખુશ રહેશે તો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પણ જળવાશે. જોકે રાબેતા મુજબ દિવાળીના તહેવારોમાં રાત્રે દસથી સવારના છ વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર જે મનાઈ ફરમાવવામાં આવી છે એ યથાવત્ રહેશે, તેમ સૂત્રો જણાવે છે.

દિવાળી અને ફટાકડા લઈને એક એસઓપી બની શકે

ગુજરાત સરકાર એક એસઓપી(સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) પણ જારી કરે એવી શક્યતા છે. ફટાકડા ફોડવાનો સામૂહિક કાર્યક્રમ નહીં થઇ શકે કે જેમાં મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઇ શકે, પરંતુ લોકો પોતાના ઘરના પટાંગણમાં સુરક્ષા જળવાય એ રીતે ફટાકડા ફોડી શકશે. આ ઉપરાંત દિવાળી અને નવા વર્ષનાં સંમેલનો મર્યાદિત સંખ્યામાં લોકો આવે એ રીતે થઇ શકશે. તદુપરાંત ફટાકડાના વેચાણ માટે પોલીસ અને સ્થાનિક પ્રશાસન પાસેથી મંજૂરી ફરજિયાત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *