- ગાયોના નામે વોટ લીધા છે તો એમની જવાબદારી બને : ગેનીબેનનો સરકારને ટોણો બનાસકાંઠાની ગૌશાળાની ગાયો હવે ઘાસચારા વિના મરી રહી છે.સંચાલકો ગાયોના નિભાવ માટે આંદોલન કરી રહ્યા છે છતાં સરકાર ટસની મસ થતી નથી.તો બીજી બાજુ જિલ્લાના સાંસદ,ધારાસભ્યો પણ સીએમને પત્ર લખીને થાક્યા પણ આમની રજૂઆત પણ સંભળાતી નથી.સરકાર દ્વારા ચૂંટણી ટાણે ગાયોના નામે વોટ લેવાય છે તેમજ ચૂંટણી ટાણે પૂરતો ઘાસચારો અપાય છે તેવા આક્ષેપો કોંગ્રેસના સાંસદો એ કરી સરકારને સહાય ચૂકવવા રજૂઆત કરી રહ્યા છે. તેમજ રાજસ્થાન સરકાર ગૌશાળા-પાંજરાપોળને સહાય આપી રહી છે તેવી રીતે ગુજરાત સરકારને નિર્ણય લેવો જોઈએ તેમ પણ જણાવવામાં આવી રહ્યું છે.સહાય અંગે બનાસકાંઠા સાંસદ અને ધારાસભ્યોએ મુખ્યમંત્રીને રજૂઆત કરવા મુખ્યમંત્રી દ્વારા કોઇ જવાબ અપાયો ન હોવાનું જાણવા મળ્યું છે.
- કોરોનાના કારણે ગૌશાળા-પાંજરાપોળમાં દાન ન આવતાં સંચાલકોની હાલત કફોડી બનતાં સરકાર પાસે સહાયની માંગ કરી 20 દિવસથી આંદોલન ચલાવાઇ રહ્યું છે. ત્યારે આ અંગે સાંસદ તેમજ ધારાસભ્યો દ્વારા પણ મુખ્યમંત્રીને પત્ર લખી ધ્યાન દોરવામાં આવી રહ્યું છે છતાં મુખ્યમંત્રી દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો નથી.
સીએમને પત્ર લખ્યો પણ જવાબ ન મળ્યો
‘બનાસકાંઠા ગૌશાળા ફેડરેશન દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જે બાબતે સંચાલકોની લેખિત રજુઆત ધ્યાનમાં લઇ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. પરંતુ હજુ સુધી વળતો જવાબ મળ્યો નથી.> પરબતભાઇ પટેલ (સાંસદ)
દસ દિવસ પહેલા રજૂઆત કરી છે
‘સરકાર જીવદયાની વાતો કરે છે પરંતુ સહાય આપતી નથી.દસ દિવસ પહેલા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે.આ અગાઉ પણ 2 મહિના પહેલા લેખિત રજુઆત કરીને સહાય અપાવી હતી. હાલ પાંજરાપોળમાં નિભાવ કરવું મુશ્કેલ બન્યું છે.> મહેશ પટેલ (ધારાસભ્ય-પાલનપુર)
ચૂંટણીમાં ઘાસચારો આપ્યા પછી બંધ કરાયો
‘સરકાર દ્વારા માત્ર ચૂંટણીઓ આવી ત્યારે ગાયો માટે ઘાસચારો આપવાનું ચાલું કર્યું અને તેના પછી આ ગાયો માટે ઘાસચારો બંધ કરી દેવામાં આવ્યો છે તે વ્યાજબી નથી. આ બાબતે તેઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને પોતાના મત વિસ્તારની સાથે સાથે સમગ્ર જીલ્લાની ગૌશાળામાં ઘાસચારા માટે સહાય આપો તેવો પત્ર લખેલ અને જ્યારે પણ ગૌસેવકોને ધારાસભ્ય તરીકે જરૂર પડશે ત્યારે ગૌશાળાની પડખે રહીને સરકાર સામે લડત આપવા માટે તૈયારી બતાવી છે.