વાવ થરાદ : ધ્રુપલ જયસ્વાલ (કલાલ)
રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહના ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં ટ્રાફિક અવેરનેસ અને જનજાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અનુસંધાને વાવ-થરાદ જિલ્લામાં વધતા વિકાસ અને વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આજે થરાદ શહેરના ત્રણ રસ્તા તેમજ ચાર રસ્તાઓ પર વિશેષ ટ્રાફિક અવેરનેસ (Traffic Awareness)કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન લોકોને સમજાવવામાં આવ્યું હતું કે માર્ગ અકસ્માત કોઈ કુદરતી આપત્તિ નથી, પરંતુ મોટા ભાગે માનવસર્જિત ભૂલોના પરિણામે સર્જાય છે. વાહનચાલકો દ્વારા ટ્રાફિક નિયમોની અવગણના, અતિઝડપ, બેદરકારી અને સુરક્ષા સાધનોનો ઉપયોગ ન કરવો જેવી બાબતો ગંભીર અકસ્માતનું કારણ બને છે. આથી તમામ નાગરિકોએ યાતાયાતના નિયમોનું કડક પાલન કરવું અને પોતાની જવાબદારી સ્વીકારવી જરૂરી છે તે બાબતે જાગૃતિ લાવવામાં આવી હતી.

“આપણી ભૂલ બીજાના જીવન માટે જોખમ ન બને” – પોલીસનો સંદેશ
કાર્યક્રમ દરમિયાન લોકોને અપીલ કરવામાં આવી હતી કે પોતાની એક ક્ષણની ભૂલના કારણે કોઈ નિર્દોષનો જીવ જોખમમાં ન મુકાય. અકસ્માત ટાળવા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવું દરેક નાગરિકની મોટી જવાબદારી છે, તેવી સમજ લોકોમાં વિકસે તે હેતુથી આ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
વધુમાં હાલ ચાલી રહેલી ઉતરાયણ પર્વ ઉજવણીને ધ્યાનમાં રાખીને માર્ગ સલામતી તથા વાહનચાલકોની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. જેમાં સેફ્ટી ગાર્ડ તથા NGOના સહયોગથી વાહનચાલકોને મફત હેલ્મેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ બાબતે વાવ-થરાદ જિલ્લા પોલીસ વડા શ્રી ચિંતન તેરૈયાએ જણાવ્યું હતું કે, “લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ વધે અને અકસ્માતોની સંખ્યા ઘટે તે માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે. જનસહકારથી જ માર્ગ સલામતી શક્ય છે.”
રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમને શહેરના વાહનચાલકો અને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.