આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનનો આજથી પ્રારંભ થયો છે.જેમાં સામાન્ય નાગરિકો અને દેશવાસીઓ 75 વર્ષની ઉજવણીમાં સહભાગી બની પોતાના ઘર, રહેઠાણ, વ્યવસાય, ઓફિસ અને ધંધાના સ્થળે તિરંગો ધ્વજ લહેરાવી પોતાની દેશભક્તિ વ્યક્ત કરી રહ્યા છે. રાજ્યના સરહદી જિલ્લા બનાસકાંઠામાં પણ લોકો હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહભેર જોડાઈ ગૌરવભેર આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જિલ્લાવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવતા હર ઘર તિરંગા અભિયાનની રંગે ચંગે ઉજવણી કરવા અપીલ કરી હતી. તારીખ 13, 14 અને 15 દરમિયાન આપણે હર ઘર તિરંગા અભિયાન થકી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે દેશ ભક્તિની ભાવનાને દિલમાં સંજોવી રાખી દેશ માટે સરસ કામ કરવાની અપીલ સાથે તેમણે ઘર, ઓફિસ, દુકાન પર તિરંગો લહેરાવવા લોકોને જણાવ્યું હતું.