પાલનપુર તાલુકામાં સરકારી પ્લોટમાં પોતાની સત્તાનો દુરુપયોગ કરી મનસ્વી રીતે વેચાણ કર્યાની ઘટના સામે આવી છે. જિલ્લા વિકાસ અધિકારીએ એકસાથે 2 ગામનાં અનેક પરિવારો પાસેથી સરકારી પ્લોટની સનદ પરત લેવા કાર્યવાહી શરૂ કરતાં ખળભળાટ મચી ગયો છે. ચારેક વર્ષ અગાઉ પંચાયતના કર્મચારી અને સરપંચ સહિતનાએ ગામતળમાં પ્લોટ પાડી હરાજી ગોઠવી હતી જેમાં 75થી વધુ પરિવારોને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. એ વખતે નિયમોથી અજાણ ભોળાં ગામલોકોએ સરકારી સિસ્ટમ અને સરપંચ ઉપર વિશ્વાસ મૂકી હરાજી આધારે પ્લોટ મેળવ્યાં હતા. જોકે આ ગરીબ પરિધારોને આજે ચોંકાવનારો ધ્રાસકો લાગ્યો છે. કેમ કે જેની ઉપર વિશ્વાસ મૂકી પ્લોટ લીધા તેમણે સરકારી નિયમો તોડીને હરાજી કરી હતી. આથી વગર વાંક છેતરાયેલાં આ પરિવારોને ડીડીઓ સમક્ષ હાજર થઈ દિવસ, દહેગ જવાબ રજૂ કરવો પડ્યો હતો. આખરે ડીડીઓએ નિર્ણય જાહેર કર્યો કે પ્લોટની સનદ પરત કરવી પડશે ત્યારે પ્લોટ ધારકોની હાલત કફોડી બની છે.