૧૫૩ લાખના ખર્ચે નગરપાલિકા વિસ્તારના રોડ રસ્તા અને રૂપિયા ૧૨૦ લાખના ખર્ચે નગરપાલિકાના કામોનું ખાતમુહૂર્ત કરાયું – સીએમ

માણસાના કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે પોતાના મત વિસ્તારમાં વિકાસના અનેક કામો કર્યા છે. તેમણે છેલ્લા ત્રણ વર્ષમાં રુ. ૯૦૦૦ કરોડના વિકાસના કામો પોતાના મતવિસ્તારમાં કર્યા છે.વિકાસની મૂળ ધારામાંથી કોઈ બાકી ન રહી જાય તેવી નેમ સાથે આ સરકાર કામ કરી રહી છે, તેવું કહી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, આજે માણસા ખાતે લોકાર્પણ થયેલ પુસ્તકાલય અને સાંસ્કૃતિક હોલ એ બંનેનું નામાકરણ મહાત્મા ગાંધી પુસ્તકાલય અને સરદાર પટેલ સાંસ્કૃતિક હોલ તેવું કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું નામ સાંભળતા જ દરેક ગુજરાતીની છાતી ગૌરવથી ફુલી જાય છે, એવું કહી તેમણે ઉમેર્યું હતું કે પુસ્તકાલય અને સાંસ્કૃતિક હોલ માણસાવાસીઓને ગૌરવ અપાવતા રહેશે. વિદ્યાર્થીઓ પુસ્તકાલયમાં અભ્યાસ કરી પોતાની કારકિર્દીનું ઘડતર કરી ગાંધી અને સરદાર પટેલના સેવેલા સપનાને સાકાર કરશે. તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના આત્મનિર્ભર સૂત્રને સાર્થક કરવા માટે પણ આગળ આવશે.મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, આ સરકાર પ્રજાની સમસ્યાનું નિવારણ લાવવા, જનહિતના કામો કરવા, અને પ્રજાના કોઈપણ નાણાનો ખોટો બગાડ ન થાય તેની ખાસ તકેદારી રાખીને વિકાસના કામો કરી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે વિકાસની રાજનીતિ થકી દેશને સુશાસન આપ્યું છે, એવું જણાવી તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે પોતાના મતવિસ્તારને હરિયાળો બનાવવા માટે બાગ-બગીચા અને વૃક્ષારોપણને પ્રાધાન્ય આપ્યું છે. તેમજ વડાપ્રધાનએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મિશન મિલિયન ટ્રીની જે હાકલ કરી છે. તેને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે પોતાના વિસ્તારમાં સાર્થક કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. ગુજરાત સસ્ટેનેબલ ડેવલોપમેન્ટની દિશામાં અગ્રેસર છે, તેનો પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે આજે માણસા નગરપાલિકા વિસ્તારમાં રૂપિયા ૧૦૦ કરોડ થી વધુના ખર્ચે તૈયાર થયેલ ૫૩૦ સીટના અધ્યતન સરદાર પટેલ સાંસ્કૃતિક ભવનનું અને રૂપિયા ૩૮ લાખના ખર્ચે તૈયાર થયેલ મહાત્મા ગાંધી પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત રૂપિયા ૧૫૩ લાખના ખર્ચે નગરપાલિકા વિસ્તારના વિવિધ રોડ રસ્તાના કામોનું અને રૂપિયા ૧૨૦ લાખના ખર્ચે નગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *