વાવ-થરાદ જિલ્લાના રાજપૂત સમાજ માટે ગૌરવ અને ગર્વના સમાચાર સામે આવ્યા છે. વાવ, થરાદ, ધરણીધર અને સુઈગામ તાલુકાઓમાંથી તાજેતરમાં યોજાયેલી લોક રક્ષક (Lokrakshak) ભરતીની અંતિમ પસંદગીમાં ૪૬ જેટલા યુવાનો સફળ થયા છે. એક સાથે એટલી મોટી સંખ્યામાં યુવાનોની શાનદાર સફળતાથી સમગ્ર પંથકમાં આનંદ અને ઉત્સાહની લાગણી પ્રસરી ગઈ છે.

આ સિદ્ધિ માત્ર રાજપૂત સમાજ પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના યુવાશક્તિની મહેનત, સંઘર્ષ અને દ્રઢ સંકલ્પનું ઉત્તમ ઉદાહરણ બની છે. પસંદગી પામેલા યુવાનો વર્ષો સુધી કઠોર મહેનત, સતત અભ્યાસ, શારીરિક કસોટી તેમજ લેખિત પરીક્ષાની સઘન તૈયારી કર્યા પછી આ મહત્વપૂર્ણ મુકામ સુધી પહોંચ્યા છે.
આ પ્રસંગે થરાદ વાવ સુઈગામ રાજપૂત સમાજના પ્રમુખ કાનજી રાજપૂતે જણાવ્યું હતું કે, “૪૬ યુવાનોની એકસાથે થયેલી સફળતા સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત છે. આ સિદ્ધિથી આવનારી પેઢીને પણ સરકારી સેવામાં જોડાવા માટે નવી પ્રેરણા મળશે. સમાજે હંમેશા શિક્ષણ, શિસ્ત અને સંઘર્ષને મહત્વ આપ્યું છે, અને તેનો સકારાત્મક પરિણામ આજે સૌ સામે જોવા મળી રહ્યું છે.”

સ્થાનિક સ્તરે પસંદગી પામેલા તમામ યુવાનોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ગામોમાં ફટાકડા ફોડીને, મીઠાઈ વહેંચીને અને શુભેચ્છાઓ પાઠવીને ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે. માતા-પિતા અને પરિવારજનોની આંખોમાં આનંદના આંસુ સાથે સંતાનની સફળતાને ગર્વભેર ઉજવાઈ રહી છે.
આ સફળતા બાદ સમગ્ર વિસ્તારમાં યુવાનોમાં સરકારી સેવામાં જોડાવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો છે. લોકોનું માનવું છે કે આ યુવાનો જનસેવાના કાર્યમાં ઈમાનદારી, નિષ્ઠા અને જવાબદારી સાથે ફરજ બજાવી સમાજ તેમજ જિલ્લામાં ગૌરવ વધારશે.
