જેનું કોઈ નથી તેના માટે સરકાર — પાલક માતા-પિતા યોજના બનાસકાંઠાના 1,727 બાળકો માટે આશીર્વાદ

રાજ્ય સરકારની પાલક માતા-પિતા યોજના ગુજરાતના અનાથ અને નિરાધાર બાળકો માટે સચોટ આશીર્વાદ સાબિત થઈ રહી છે. વર્ષ 2009-10થી અમલી બનેલી આ યોજના એ રાજ્યના એવા બાળકોને કુટુંબના વાતાવરણમાં ઉછેરવાનું ધ્યેય ધરાવે છે, જેમણે નાની ઉંમરે માતા-પિતાને ગુમાવી દીધા હોય. સરકારનો સંકલ્પ સ્પષ્ટ છે— કોઈપણ બાળક સંસ્થામાં નહીં, પરંતુ પરિવારના પ્રેમ અને સ્નેહ વચ્ચે જ વિકાસ પામે.આ યોજનાની વિશેષતા એ છે કે 0 થી 18 વર્ષના નિરાધાર બાળકોની સારસંભાળ રાખતા નજીકના સગાસબંધીઓને પ્રતિબાળક દર મહિને ₹3,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાય ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા બાળક અને પાલક માતા–પિતાના સંયુક્ત એકાઉન્ટમાં જમા થાય છે.

બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં અગ્રેસર

બનાસકાંઠા જિલ્લામાં આ યોજનાનો પ્રભાવ અત્યંત સકારાત્મક રૂપરેખા દર્શાવે છે. સમાજ સુરક્ષા અધિકારી હિતેશ પટેલ જણાવે છે કે વર્ષ 2025 સુધી જિલ્લામાં 1,727 બાળકોને દર મહિને કુલ ₹51.81 લાખની સહાય અપાઈ રહી છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 2,818 જેટલા બાળકોને યોજનાનો લાભ મળ્યો છે.તેઓએ જણાવ્યું કે જિલ્લા બાળ સુરક્ષા એકમ, શિક્ષણ વિભાગ, ICDS, પંચાયત તંત્ર, પોલીસ વિભાગ તથા NGO મારફતે લાભાર્થી સુધી પહોંચીને ફોર્મ ભરવામાં મદદ કરવામાં આવે છે. કોઈપણ બાળકની ઉંમર 0 થી 18 વર્ષની વચ્ચે હોય અને તેના માતા-પિતાનું અવસાન થયેલું હોય તો તે બાળક આ યોજનાનો હકદાર બને છે.

લાભાર્થી પરિવારનો આભાર — સરકારનો માનવીય ચહેરો

તાજેતરમાં યોજનાનો લાભ મેળવીને એક દીકરીના લગ્ન પ્રસંગે મળેલી ₹2 લાખની સહાય તેના પરિવારને મોટી રાહતરૂપ સાબિત થઈ. દીકરીના સસરા દિનેશભાઈ દેસાઈએ જણાવ્યું કે:“મારી પુત્રવધુએ નાની ઉંમરે માતા-પિતાને ગુમાવ્યા, પરંતુ સરકારે સાથ છોડ્યો નહીં. દર મહિને મળતી સહાય અને લગ્ન પ્રસંગે મળેલા ₹2 લાખે અમને ખૂબ મદદ મળી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સરકારનો હૃદયપૂર્વક આભાર.”રાજ્ય સરકારે 2023થી યોજનામાં દીકરીઓના લગ્ન સમયે વધારાની ₹2 લાખની સહાય ઉમેરવાથી અનેક પરિવારોને નાણાકીય રાહત મળી રહી છે.

સમિતિઓ દ્વારા ઝડપી મંજૂરી

જિલ્લામાં યોજાયેલી તાજેતરની Sponsorship and Foster Care Approval Committee ની બેઠકમાં 12 નવી અરજીઓને મંજૂરી આપી વધુ બાળકો સુધી યોજનાનો લાભ પહોંચાડવાનો પ્રયાસ મજબૂત બન્યો છે.

યોજનાની સાચી સફળતા — બાળકના ચહેરા પરની આશાની ઝળહળ

પાલક માતા-પિતા યોજના માત્ર સહાય નથી, પરંતુ માતા–પિતા ગુમાવેલા બાળકોને ફરી એકવાર સુરક્ષા, પ્રેમ અને કુટુંબની નજીક લાવતી જીવનદાયી યોજના છે. કોઈપણ બાળકની આંખોમાં ઝળહળતા આશાના કિરણો આ યોજનાની સાચી સફળતા દર્શાવે છે.“જેનું કોઈ નથી, તેની સાથે સરકાર છે” — પાલક માતા પિતા યોજના આ વાક્યને હકીકતમાં ફેરવે છે. રાજ્યના નિરાધાર બાળકો માટે આ યોજના ઉજ્જવળ, સુરક્ષિત અને મમતા ભરેલા ભવિષ્યનું દ્વાર બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *