હાલમાં સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. વિપક્ષ હોબાળો કરીને ગૃહની કાર્યવાહી ખોરવી રહ્યું છે અને આથી સ્પીકર ઓમ બીરલા પણ કંટાળ્યાં છે. ગૃહમાં વારંવાર હોબાળો મચાવનાર કોંગ્રેસના ચાર સાંસદોને તેમણે સત્રની સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસના સાંસદ મનિકમ ટાગોર, જ્યોતિમણી, રામ્યા હરિદાસ અને ટીએન પ્રતાપનને આખા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.ગૃહને સ્થગિત કરતા પહેલા અધ્યક્ષની ખુરશી પર બેઠેલા રાજેન્દ્ર અગ્રવાલે હંગામો મચાવવા માટે કોંગ્રેસના ચાર સાંસદોને નોમિનેટ કર્યા હતા. નિયમ 374 હેઠળ કોંગ્રેસના ચાર સાંસદોને બાકીના સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પહેલા વિપક્ષી સાંસદોએ સોમવારે ગૃહમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને પ્લેકાર્ડ્સ પ્રદર્શિત કર્યા હતા અને કેન્દ્ર સાથે મોંઘવારી, એલપીજીના ભાવ વધારાના મુદ્દાઓ પર ચર્ચા કરવાની માંગ કરી હતી. આના પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તેમને ઠપકો આપ્યો અને સદનની ગરિમા જાળવી રાખવા કહ્યું. ઓમ બિરલાએ કહ્યું, આ લોકતંત્રનું મંદિર છે, સદનની ગરિમા જાળવવાની જવાબદારી સભ્યોની છે, સરકાર ચર્ચા કરવા તૈયાર છે. કેન્દ્રીય મંત્રી પીષુય ગોયેલે એવું જણાવ્યું કે સરકાર મોંઘવારીના મુદ્દે સંસદમાં ચર્ચા કરવા તૈયાર છે પરંતુ વિપક્ષ ચર્ચાથી ભાગી રહ્યો છે.