ગુજરાતમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી હોય તે અંતર્ગત ગુજરાતમાં દરેક પાર્ટીના દિગ્ગજ અને રાષ્ટ્રીય નેતાની ગુજરાત મુલાકાત વધી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ દરેક પક્ષ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. સૌરાષ્ટ્રના રાજકોટમાં રાજકરણને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે ગુજરાતના એક સમયના નાણાં મંત્રી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના દિગ્ગ્જ નેતા વજુભાઇ વાળા પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સક્રિય થાય તેવા સંકેત મળી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ. સંતોષે વજુભાઇ વાળા સાથે તેમના નિવાસસ્થાને એક બંધ બારણે બેઠક કરવામાં આવી હતી. આ બેઠકથી રાજકોટનું રાજકારણ ગરમાયુ છે. રાજકોટની મુલાકાતે આવેલા બીએલ સંતોષ રાણીંગાવાડીની બેઠક પૂર્વ કરી ત્યારબાદ વજુભાઇ વાળાને મળવા ગઈકાલે સાંજના સમયે તેમના નિવાસ્થાને પહોંચ્યા હતા. આ બેઠકમાં બીએલ સંતોષ સાથે વી. રત્નાકર અને સાંસદ વિનોદ ચાવડા પણ હાજર રહ્યા હતા. આ બેઠક આગામી વિધાનસભાને લઈને થઇ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. નોંધનીય છે કે વજુભાઇ વાળાએ થોડા દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન શ્રી કૃષ્ણ સાથે સરખાવ્યા હતા. રાજકોટમાં આ બેઠક ચર્ચાનો વિષય બની ગઈ છે. વજુભાઇ વાળા રાજકોટના દિગ્ગ્જ નેતા છે અને છેલ્લા ઘણા વર્ષોથી રાજકરણમાં સક્રિય છે તેઓએ ગુજરાતમાં સૌથી વધુ વખત નાણામંત્રી તરીકે બજેટ રજુ કર્યું હતું.