બનાસકાંઠા જિલ્લામાં તા. ૨૩ થી ૨૫ જૂન-૨૦૨૨ દરમ્યાન શાળા પ્રવેશોત્સવ યોજાશે

બનાસકાંઠા જિલ્લામાં આગામી તા. ર૩ થી રપ જૂન-ર૦રર દરમ્યાન શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની મેમદપુર પ્રાથમિક શાળાથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવશે. મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમને અનુલક્ષી પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં શાળા પ્રવેશોત્સવના સુચારૂ આયોજન અંગે કલેકટરશ્રીએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી.

શાળા પ્રવેશોત્સવના ત્રણ દિવસ દરમ્યાન સરકારી પ્રાથમિક શાળાઓમાં મંત્રીશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ તથા વર્ગ-૧ ના અધિકારીઓ, પદાધિકારીઓ ગામે- ગામ જઇને શાળામાં પ્રવેશપાત્ર ભુલકાંઓનો શાળા પ્રવેશ કરાવશે. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં કલસ્ટર રિવ્યુ અને તાલુકા રિવ્યુ આ પ્રવેશોત્સવમાં નવી બાબત તરીકે ઉમેરવામાં આવી છે. જેમાં શિક્ષણ વિભાગ ધ્વારા હાથ ધરવામાં આવેલા નવા પ્રકલ્પો જેવા કે, લર્નીગ લોસ માટે શિક્ષકોએ આપેલ સમય દાન, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ૧૦૦ ટકા નિયમિત હાજરી, શાળાઓની માળખાકીય સુવિધા, જી.શાળા એપનો વિદ્યાર્થી ધ્વારા ઉપયોગ, એકમ કસોટી અને સત્રાંત કસોટીના પરિણામો, કોરોના કાળમાં શિક્ષણ માટે થયેલ ઓનલાઇન અને ઓફલાઇન કામગીરી જેવી બાબતોની સમીક્ષા કરવામાં આવશે.

દરેક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તે જ શાળામાં એસ.એમ.સી. (સ્કુલ મોનિટરીંગ કમિટી) ના સભ્યોની હાજરીમાં જે- તે શાળાના મુખ્ય શિક્ષક ધ્વારા શાળાનો અહેવાલ રજુ કરવામાં આવશે. તે ઉપરાંત અધિકારીશ્રી અને પદાધિકારીશ્રી ધ્વારા શાળાના એસ.એમ.સી સભ્યો સાથે વાર્તાલાપ કરવામાં આવશે. આ વર્ષે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વિવિધ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રીઓને પણ જોડવામાં આવશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેકટરશ્રી એ.ટી.પટેલ, પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સંજયભાઇ પરમાર સહિત સંબંધિક કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *