પ્રાથમિક શિક્ષકો ગ્રેડ પે સહિતની પડતર માગણીઓના ઉકેલ માટે સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરવા આવ્યા હતા, પરંતુ કલેક્ટરે મંજૂરી આપી ન હોવાથી પોલીસે તેમની અટકાયત કરી લેતાં ધરણાંનો કાર્યક્રમ યોજાયો નહીં. પોલીસે અલગ અલગ સ્થળોથી 50 જેટલા શિક્ષકોની અટકાયત કરી હતી. પ્રાથમિક શિક્ષકોને વર્ષોથી મળતો ગ્રેડ પે 4200ને એકાએક ઘટાડીને 2800 કરી દેવામાં આવ્યો હતો. ઉપરાંત ઓછા ગ્રેડ પેનો લાભ વર્ષ-2010 પછી ભરતી થયેલા શિક્ષકોને મળશે તેવા રાજ્યના શિક્ષણ વિભાગે આદેશ કરતાં શિક્ષકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ કાર્યક્રમ વેગવંતો બનાવ્યો હતો. ત્યાર બાદ શિક્ષક સંઘની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મીટિંગ થઈ હતી, જેમાં શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલ આવ્યો છે.
રાજ્યના 65 હજાર શિક્ષકોને 4200 ગ્રેડ પે મળશે
હવેથી રાજ્યભરના 65 હજાર જેટલા પ્રાથમિક શિક્ષકોને અગાઉની વ્યવસ્થા મુજબ જ પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ તરીકે 4200 ગ્રેડ-પે મળતો રહેશે તેમ નીતિન પટેલે જણાવ્યું હતું. શિક્ષણ વિભાગે તા.25-06-2019ના પત્રથી પ્રાથમિક શિક્ષકોને પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ તરીકે મળતો 4200 ગ્રેડ-પે ને બદલે 2800 ગ્રેડ-પે આપવાનો થયેલ પત્ર તા.16 જુલાઇ-2020થી સ્થગિત કરેલો હતો.મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં પ્રાથમિક શિક્ષકોની લાંબાગાળાની રજૂઆતો પ્રત્યે વિચારણા કરીને આ પત્ર મૂળ અસરથી રદ કરવાની સૂચનાઓ મુખ્યમંત્રીએ આપી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, હવે આના પરિણામે પ્રાથમિક શિક્ષકોને 4200 ગ્રેડ-પે પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ તરીકે યથાવત રહેશે તેમજ સંબંધિત શિક્ષકોને તેમની મળવાપાત્ર તારીખથી તેનો લાભ આપવામાં આવશે.