ગુજરાત કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ક્યા મોટા હોદ્દા પરથી આપી દીધું રાજીનામું ? જાણો તેમના સ્થાને કોણ આવશે ?

પરેશ ધાનાણીના સ્થાને વિધાનસભા વિપક્ષના નેતા તરીકે શૈલેષ પરમાર, પૂંજા વંશ અને અશ્વિન કોટવાલનું નામ ચર્ચામાં છે.

ગાંધીનગરઃગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર કોંગ્રેસનો સફાયો થતાં ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાપદેથી પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું છે. ધાનાણીની સાથે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ  રાજીનામું આપી દીધું છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ બંને નેતાઓના રાજીનામા પત્ર લઇને દિલ્હી ઉપડી ગયાં છે.

આ વાતને સમર્થન આપતાં પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, પેટાચૂંટણીના પરિણામ બાદ હાઇકમાન્ડ સમક્ષ રાજીમામું આપવાની રજૂઆત કરી હતી અને પરિણામોની નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામુ આપ્યુ છે. કોંગ્રેસના બધાય ધારાસભ્યોના સહકારથી વિરોધપક્ષના નેતા તરીકે ત્રણ વર્ષ સુધી કામ કર્યુ છે. હવે હાઇકમાન્ડ જે નિર્ણય લે તે અમને માન્ય હશે.

પરેશ ધાનાણીના સ્થાને વિધાનસભા વિપક્ષના નેતા તરીકે શૈલેષ પરમાર, પૂંજા વંશ અને અશ્વિન કોટવાલનું નામ ચર્ચામાં છે. આ ત્રણેય વરિષ્ઠ ધારાસભ્ય છે એ જોતાં ત્રણમાંથી કોઈ એકની પસંદગી થઈ શકે છે.

લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. કોંગ્રેસ ખાતુ ય ખોલી શકી ન હતી. પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર કોંગ્રેસને હારનો સામનો કરવો પડયો હતો. આઠેય બેઠકોપર પરાજય થતાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામુ આપવા તૈયારી દર્શાવી હતી. અચાનક જ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનુ અચાનક અવસાન થતાં વાત બાજુ પર મૂકાઈ ગઈ હતી પણ  હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી છે ત્યારે આ મુદ્દો ઉપસ્થિત થયો હતો. પ્રભારી રાજીવ સાતવ છેલ્લાં દસેક દિવસથી ગુજરાતમાં હતા. તેમણે પ્રદેશ કોંગ્રેસ સમિતી સાથે સતત ચૂંટણીલક્ષી બેઠકો કરી હતી. આ દરમિયાન હાઈકમાન્ડની મરજી જણાવતાં  પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ લેખિતમાં રાજીનામુ આપી દીધુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *