સરહદી વાવ,થરાદ,સુઈગામ,સહિત ભાભર વિસ્તારની નર્મદાની કેનાલોમાં 1 એપ્રિલથી સિંચાઈનું પાણી બંધ કરવામાં આવતાં ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી બની છે.સમગ્ર જિલ્લામાં સૂકા ઘાસચારાની પણ મોટી અછત સર્જાઈ છે.સૂકા ઘાસચારાનાં ભાવો આસમાને પહોંચતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નહિ મળતાં ગૌશાળા સંચાલકો અને પશુપાલક મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત કચ્છ સૌરાષ્ટ્રમાંથી લાવતાં હોવાનું ગૌશાળા સંચાલકોએ જણાવ્યું હતું.
સરહદી વાવ,થરાદ,સુઈગામ પંથકમાં નર્મદા કેનાલોનું સિંચાઈ માટે મોટું નેટવર્ક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.કેનાલોમાં સિંચાઈનું પાણી બંધ કરવામાં આવતાં કેનાલોની સફાઈ કરવામાં આવે અને અનેક જગ્યાએ કેનાલો લીકેજ છે.અને કેટલીય જગ્યાએ તૂટેલ હોવાથી સમારકામની પણ જરૂર હોવાથી ઉનાળામાં રીપેરીંગ કામ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે.સરહદી પંથકમાં 15મી એપ્રિલ સુધી નર્મદાની માઈનોર અને ડિસ્ટ્રીબ્યુટરી કેનાલોમાં સિંચાઈનું પાણી છોડવામાં આવે એવી રાષ્ટ્રીય કિસાન સંગઠનનાં મંત્રી રામસિંહ રાજપૂત દ્વારા પણ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી.