વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માટે ખુબ ખુશી અને આનંદના સમાચાર છે કે, ઘણા લાંબા સમયથી અંબાજીને રેલ્વે સાથે જોડવાની માંગ કરવામાં આવી રહી હતી તે આબુરોડ- અંબાજી- તારંગાહિલ માટે નવી રેલ્વે લાઇન નાખવાની કેન્દ્ર સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે. આ રેલ્વે લાઇનના નિર્માણથી રાજસ્થાન અને ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી આવતા શ્રધ્ધાળુંઓને ખુબ સારી પરિવહન સુવિધા પ્રાપ્ત થશે.
અંબાજીને રેલ્વે લાઇનથી જોડવાની મંજુરી મળતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતાં અંબાજી મંદિરના પૂજારી શ્રી ભટ્ટજી મહારાજે જણાવ્યું છે કે, શક્તિપીઠ અંબાજીને રેલ્વે લાઇનથી જોડવા માટેના વડાપ્રધાનશ્રીના નિર્ણયથી અંબાજીને ખુબ મોટી ભેટ મળી છે. પહાડોથી ઘેરાયેલા ધાર્મિક સ્થળ અંબાજીને રેલ્વેથી જોડવાથી અંબાજીના સ્થાનિક વિકાસની સાથે ઔદ્યોગિક વિકાસ પણ થશે અને લોકો માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત અંબાજી દર્શનાર્થે આવતા યાત્રિકોને સરળતાથી સસ્તી પરિવહન સુવિધા મળશે. નવી રેલ્વે લાઇનની મંજુરી બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્ર સરકારનો શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ભટ્ટજી મહારાજે આભાર વ્યક્ત કર્યો છે.