બનાસકાંઠામાં રખડતા પશુઓને કારણે આર્મી જવાનનું મોત થતા ભારે ચકચાર મચી છે. કાંકરેજના અરડુંવાડા પાસે બાઇક પર સવાર આર્મી જવાનના આડે પશુ આવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં જવાન અમરતભાઇ માળીનું મોત નીપજ્યુ છે. તેઓ દિયોદરના વડીયા ગામના વતની હતા. મૃતક આર્મી જવાન આસામમાં પેરાકમાન્ડો તરીકે ફરજ બજાવતા હતા. રજાઓ હોવાથી આસામથી પોતાના વતન આવ્યા હતા. આસામથી ગાંધીનગર અને ત્યાંથી બાઇક લઇને પોતાના વતન પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુઃખદ બનાવ બન્યો હતો ઉલ્લેખનીય છે કે આસામમાં ફરજ નિભાવનાર જવાન રજા લઇને ઘરે આવી રહ્યો હતો. ઘરના સભ્યોમાં હરખની લાગણી હતી. કાગડોળે રાહ જોઇ રહ્યા હતા કે તેઓ ક્યારે ઘરે આવે. પરંતુ પળવારમાં જ આ ખુશીની લાગણી માતમમાં ફેરવાઇ ગઇ. આર્મી જવાનના મોતની ખબર આવતા પરિવાર માથે આભ તૂટી પડ્યું. ઘટનાને પગલે શિહોરી પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.