
વાવ તાલુકાના લોદ્રાણી ગામની સીમમાં આવેલ કેનાલમાં છેલ્લાં છ વર્ષથી સિંચાઇનું પાણી અનિયમિત મળતાં ખેડૂતો પુરતો પાક લઇ શક્યા ન હતા. જેથી ચાલુ સિઝને ઝડપી પાણી મળી રહે તે માટે જવાબદાર તંત્રને રજુઆતો કરી હતી. જોકે તેમ છતાં સિંચાઇનું પાણી કેનાલમાં ન મળતા આખરે ખેડૂતોએ કેનાલો પર ઢોલ વગાડી મીડિયા માધ્યમથી અધિકારીઓને જગાડવા પ્રયાસ કર્યો હતો અને ચીમકી ઉચ્ચારી હતી કે બે દિવસમાં પાણી નહીં મળે તો નર્મદા વિભાગની કચેરી ધસી આવી ઉપવાસ પર ઉતરવાની ફરજ પડશે. આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે ‘છેલ્લાં છ વર્ષથી કેનાલમાં પાણી મેળવવા માટે વારંવાર રજૂઆતો તેમજ આવેદનપત્રો આપવા પડે છે તેમ છતાં પૂરતું પાણી મળતું નથી. જોકે આ વર્ષે ઝડપી પાણી મળી રહે તે માટે અમોએ જવાબદાર તંત્રને રજુઆત કરી હતી તેમ છતાં આજદિન સુધી આ કેનાલમાં પાણી આવ્યું નથી. જેથી નાછૂટકે કેનાલ પર ઢોલ વગાડી અધિકારીઓને જગાડવાની ફરજ પડી છે તેમજ અમારી કેનાલ પર કમાન્ડ એરિયાના પાણી ખેંચવાનાં મશીનો હોવાથી છેવાડા સુધી પાણી પહોંચતું નથી. આમ તમામ મશીનો જવાબદાર તંત્ર દ્વારા હટાવવામાં આવે એવી અમારી માંગ છે.