ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ચાર મહિના પહેલા જ આમ આદમી પાર્ટીએ 19 બેઠકના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, જેમાંથી 5 બેઠક એવી છે, જેમાં ભાજપ અને કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યો 5 હજારથી વધુ મતથી જીતી શક્યા નથી. એમાં પણ ખાસ કરીને દિયોદર, છોટાઉદેપુર, ગારિયાધાર અને રાજકોટ ગ્રામ્યમાં પાંચ હજાર કરતાં ઓછા મતથી જીત્યા છે. ભાજપ અને કૉંગ્રેસ બંને માટે AAPની 19 બેઠકના ઉમેદવારો પડકારરૂપ બની શકે છે. આમ આદમી પાર્ટી દ્વારા એવી સીટો પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. જ્યાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ખૂબ જ પાતળી સરસાઈથી જીત્યા છે. બીજી આમ આદમી પાર્ટીનું ફોકસ સૌરાષ્ટ્ર અને સુરતના પાટીદાર ફેક્ટર પર છે. વેપારી, ખેડૂત અને આદિવાસી આગેવાનનીને આપની ટિકિટ મળતાં ભાજપ અને કોંગ્રેસમાં હવે એક પ્રકારનો કર પ્રસરી રહ્યો છે.
આ બેઠકો પર 2017માં ભારે રસાકસી જોવા મળી હતી
2017ની વિધાનસભાની ચૂંટણીમાં સુરતની ચોર્યાસી બેઠક પરથી ઝંખનાબેન પટેલે 1 લાખ 10 હજારથી વધુ મતે જીત મેળવી હતી. એ ઉપરાંત અમદાવાદની નરોડા બેઠક પર ભાજપના બલરામ થાવાણીએ 60,142 મતથી જીત મળવી હતી. રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપના ગોવિંદભાઇ પટેલ 47,121 મતથી વિજયી થયા હતા, જ્યારે બારડોલી બેઠક પર ભાજપના ઈશ્વરભાઈ પરમાર 34,854 મતથી જીત્યા હતા. કામરેજ ભાજપના વી.ડી. ઝાલાવડિયાનો 23191 મતથી વિજય થયો હતો. બેચરાજી બેઠક પર કોંગ્રેસના ભરત ઠાકોર ભાજપના ઉમેદવાર રજનીકાંત પટેલને 15811 મતથી હરાવ્યા હતા, એકમાત્ર દિયોદર બેઠક એવી છે, જ્યાં 2017ની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી, જેમાં અંતે કોંગ્રેસના શિવાભાઈ ભુરિયાએ ભાજપના ઉમેદવારને માત્ર 972 મતથી પરાજય આપ્યો હતો.
સૌરાષ્ટ્રમાં પાટીદારોને રીઝવવા કેજરીવાલના સતત પ્રવાસો
આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ સતત ગુજરાતના પ્રવાસો કરી રહ્યા છે. તેઓ મોટે ભાગે સૌરાષ્ટ્ર અને સુરતમાં અવરજવર કરી રહ્યા છે. રાજકોટ અને સુરતમાં તેમણે લોકોને વીજળી અને શિક્ષણની ગેરંટી આપી હતી. એ ઉપરાંત સોમનાથનાં દર્શન કરીને હિન્દુ કાર્ડની પણ લહેર ઊભી કરી હતી. તે ઉપરાંત અમદાવાદમાં પણ તેમણે મહિલાઓ માટે તેમજ પોલીસકર્મીઓ માટેની ગેરંટી જાહેર કરી હતી. કેજરીવાલની નજર ખાસ કરીને પાટીદાર અને આદિવાસી મતો પર છે.