અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સી.એન.સી.ડી ખાતા દ્વારા શહેરમાંથી રખડતા પશુના ત્રાસ અટકાવની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાંથી પકડાયેલા પશુઓ દાણીલીમડા તથા બાકરોલ કેટલપોન્ડ(ઢોરડબ્બા)માં કુલ ૨૬૧૧ જેટલા પશુઓ પકડાયેલા રાખવામાં આવ્યા છે. તાજેતરમાં પશુઓમાં ફેલાયેલ લમ્પી સ્કીન ડીસીઝને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે તમામ પશુઓનાં રસીકરણ કરવામાં આવ્યું છે. શહેરમાંથી રખડતા અને બિમાર પશુઓઓને પણ ઢોરડબ્બામાં રસીકરણ કર્યાં બાદ જ રાખવામાં આવે છે. બિમાર પશુઓની સારવાર માટે દાણીલીમડા તથા બાકરોલ ઢોરડબ્બા ખાતે પશુચિકિત્સા અર્થે વેટરનરી ડોકટર અને પશુ સારવારની દવા, સાધન સામગ્રી પૂરતી ઉપલબ્ધ કરવામાં આવે છે.
સરકારની લમ્પી સ્કીન ડીસીઝની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ઢોરડબ્બામાં લમ્પીસ્કીન ડીસીઝના કારણે કોઇ પશુનું મરણ થયું નથી. વધુમાં તકેદારીના ભાગરૂપે રાજ્યસરકારના પશુપાલન ખાતા, જિલ્લા પંચાયત, અમદાવાદ તથા કામધેનુ યુનિવર્સિટીના પશુનિષ્ણાતો સાથે અ.મ્યુ.કોર્પો સતત સંપર્કમાં રહી કામગીરી કરવામાં આવી છે. અમદાવાદમાં કોર્પોરેશને રખડતા ઢોર અટકાવવા ઘાસચારો જાહેરમાં વેચવા મનાઈ ફરમાવાઈ છે ત્યારે રખડતા ઢોર અટકાવવા જથ્થાબંધ ઘાસચારો પેડલરિક્ષા વગેરે જપ્ત કરવામાં આવ્યા છે. રખડતા ઢોર પર કાબૂ મેળવવા માટે અમદાવાદ કોર્પોરેશને રોડ પર ઘાસચારો વેચતા લોકોને અટકાવ્યા છે. રખડતા ઢોર નિયંત્રણ માટે બિલ પસાર કરવામાં આવ્યું છે પરંતુ તેનો વિરોધ માલધારી સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે અત્યાર પૂરતો આ કાયદો મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો છે પરંતુ કોર્પોરેશન વિસ્તારમાં પહેલાથી જ રખડતા ઢોર અટકાવવા માટે તેમજ લોકો પર હુમલો કરવામાં આવતા આ કામગીરી હાથ ધરવામાં આવી છે.